14/03/2025
દોસ્તો
આજે કોઈ ફિલ્મ ની વાતો નહીં, કોઈ ફિલ્મી ગીત નહીં. આજ ની પોસ્ટ માં કોઈ સઁગીત ની વાતો નહીં.
આજે લૉક ઉત્સવ હોળી ધુળેટી નાં પર્વ ની વાત. રંગ ગુલાલ, નાચ ગાન એ ઉપરાંત અમારા વતન ગોમતીપુર માં પેઢી દર પેઢી, સમજો ને કે, વર્ષો નાં વર્ષ થી ચાલી આવતી પરમપરા એ પટવાશેરી - દેવશેરી ને બારણે ભાભારાણાદેવ ની મોટી પાંચ ફૂટ ની મૂર્તિ નું સ્થાપન ફાગણ સુદ ચૌદસ ને રાત્રી એ થતું નરી આંખે નિહાળ્યું હતું, મૂર્તિ બનાવવા કાળી ચીકણી માટી ગામ બહાર જઈ ખોદી લઈ આવતાં હતા, પાણી થી તેને પલાળતા હતા આ બધી ગતિ વિધિ અમને - મને કોઈ રસ પડતો નહીં, રાત્રે મૂર્તિ કેવી રીતે ઘડાય છે, કેવી રીતે એને ઘાટ આપૅ છે એ જાણવાનું કુતુહલ રહેતું હતું, એક રાત્રીએ બિલકુલ ઉજાગરો કરી ને જોયું તો સ્વ ઉત્તમભાઇ બ્રહ્મભટ્ટ, સ્વ.. મનુભાઇ પટેલ ઊંચી પાલખ ઉપર ચઢી મૂર્તિ ને ઘડી રહ્યા હતા, નીચે ઉભેલા ભીમાભાઇ પટેલ (હવે આ વયજૂથ માં એક માત્ર હયાત વ્યક્તિ એ છે હાલ 95 વર્ષ ઉપરાંત નાં હશે) દૂર થી ઘડાતી મૂર્તિ ને જોઈ એમની સલાહ આપતાં હતા, જયારે આ બધા માં એક પુરુષોતમ પટેલ અને બળદેવભાઇ પટેલ માટી લાવનારા, એમાં પાણી નાંખી ગુંદતા સ્વયંસેવકો ને ગરમા - ગરમ ગોટા અને ચા પાણી કરાવતા હતા. ગરમાં ગરમ ગોટા આ લખનારે પણ ઓડકાર આવે ત્યા સુધી ઝાપટયા છે, ભાઇ !!! અમારો તો આજ આનંદ હતો, હજી એક બીજો આનંદ છે.
સ્વ રમેશભાઈ પંડ્યા, અને સ્વ પ્રિયકાંત પંડ્યા, આ બૅ ભાઈઓ ઢોલ અને ત્રાસાં વગાડતા બેસતા હતા અમારી ટોળી એ જોઈ રહે, અમે લાઈન માં ઉભા હોઈએ એ થાકે અને મુકે તો અમારો વારો વગાડવા માં આવે. બીજે દિવસે સવારે એટલે કે ધુળેટી ને દિવસે આજ ઢોલ અને ત્રાસાં લઈને સ્વ બળદેવકાકા ની આગેવાની માં તોફાની ટોળું નીકળી પડે બળદેવકાકા નાં હાથમા નોટ હોય અને તે દુકાને દુકાને ફરી ફાળો ઉઘરાવતા હોય, રસ્તા માં જે જે મલ્યા હોય તે બલદેવકાકા ને પાકા રંગ થી પ્રેમ થી રંગતા હોય, બળદેવકાકા નાં ખાદી નાં સફેદ ધોતી ઝભભા ઉપર અનેક રંગ નાં આવરણો ચઢ્યા હોય.
ઘૂળેટી ની સાંજે ભાભારાણા ની શોભાયાત્રા નીકળે જેમાં સહુ થી આગળ ઢોલ ત્રાસાં વગાડનારા (એ કોઈ વ્યવસાઈ વાદકો નહીં હોં) એની પાછળ અમારી ફોઝ જે રંગબેરંગી ધજાઓ લઈ ચાલતી હોય એની પાછળ મોટી ચાંદી ની છડી લઈ ને મૉટે થી જય જય બોલાવતો છોટા હનુમાન ચાલતો, આખુ વર્ષ ભાગ્યે જં કંઈ બોલતો આ છોટા હનુમાન કંઈ ઉર્જા થી આ જય જય કાર બોલાવતો તે અમારે માટે કૌતુક હતું, એની પાછળ બૅ મજબૂત જણાએ ભાભારણા ની પાલખી ખભે ઉંચકી હોય, ભાભારાણા ની શોભાયાત્રા માં આ ત્રણ જણા નું સ્થાન અચળ હોય, એમની એવી ધાક હોય કે એમનું સ્થાન લેવા કોઈ નજીક પણ ન આવે. જોગણી માં સર્કલ પાસે શોભાયાત્રા આવે એટલે બહેનો ગરબા ગાવા ને ફરવા લાગી જાય, ત્યારે ગરબે રમતી એ બહેનો ને ઢોલ થી પોપટલાલ રણછોડદાસ પટેલ (ગાંડાકાકા આ એક લાડ થી આપેલુ નામ હતું વોલીબોલ નાં એ ઉત્તમ ખેલાડી હતા) તાલ આપતાં હોય.
કાળ ની ગતિ માં ભાભારાણા ની એ આખી પેઢી ખપી ગઇ, ઉપર નામ ગણાવ્યા એ સહુ ધામ માં પહોંચી ગયા, હવે નવી પેઢી આ વહીવટ કરવાં આગળ આવી ગઇ . પ્રિયકાંત પંડ્યા નો દીકરો નરેશ (ભુરીઓ) અને બળદેવભાઇ પટેલ નો દીકરો જશવંત (જસુ પટેલ) આગળ આવ્યા, આ બન્ને ની ટીમે કેટલાંક આવકારદાયક અસરકારક પગલાં ભર્યા, આર્થિક વહીવટ માં કરકસર કરી મન્દિર માટે એ ઓટલા વાળી જગ્યા ખરીદી લીધી. શોભા યાત્રા માટે પાલખી ખરીદી વસાવી લીધી જેથી બહાર થી ભાડે ન લાવવી પડે, મૂર્તિ ઘડવા માટે વ્યવસાઈ મૂર્તિ ઘડનારા ગોમતીપુર નાં જુના રહેવાશી કલાકાર ભાઇ શ્રી રમેશ ટિકે ની મદદ લીધી, તેમની રાહબર માં મૂર્તિ ની આભા ઘણી વધી ગઇ. આ ટીમ નું ખુબ મહત્વ નું આવકારદાયક પગલું તે,,,,,સમાચાર પત્રો માં, દૂર દર્શન અને બીજી અન્ય ચેનલો ભાભારાણા નાં સમાચારો ને દૂર દૂર સુધી ફેલાવવાનું હતું, કહો ને કે ભાભારાણા ને ગોમતીપુર - પટવાશેરી માંથી છેક દુનિયાભર માં જાણીતા કરી મુક્વાનું હતું તે કામ બહુ સુપેરે થયું.
અગાઉ નાં વર્ષો માં તો માત્ર ગોમતીપુર નાં વસતા નાગરિકો ને જં આ ભોળિયા અને છૂટે હાથે જે માંગો તે આપતાં દેવ ની જાણ હતી, હવે એવું નથી. ભાભારાણા નાં દર્શન કરવા લાંબી લાંબી લાઈનો લાગે છે, વર્ષ માં માત્ર બૅ જં દિવસ ખુલતા આ મન્દિર ને નિહાળવા આવેલા શ્રદ્ધાળું ને મફત પ્રસાદ ઉપરાંત ઠડું પીણું પીવા મળે છે, આ પ્રતાપ ચોખ્ખા દિવા જેવા વહીવટ નો છે એ વહીવટ ને મૂંગા મ્હોં એ કરનાર નો છે, એ વહીવટદારો માંથી ભાઇ નરેશ પ્રિયકાન્ત પંડ્યા, હમણાં ગયા મહિને જં આ દુનિયા ને અલવિદા કહી ગયો. જશવંત બલદેવદાસ પટેલ નાં કાર્યને બિરદાવવાની ફરજ હવે આપણી છે, એના કાર્ય નું સન્માન થવું ઘટે છે એ ફરજ હવે આપણી છે.
જય હો.
મૂળ લેખક: ચંદ્રશેખર વૈધ